તમારા સ્નેહભીના કંઈ થપાટાઓ સ્મૃતિમાં છે,
કરું હું ગાંડપણ તોયે તમે હસતા સ્મૃતિમાં છે,
હું તો ભંડાર ભૂલોનો છતાંયે સ્નેહથી સહેતા,
કરુ હું ‘શબ્દચાળા’ કાવ્ય કહેતા એ સ્મૃતિમાં છે…
બીજાના હાથમાં જીવન નચાવાનું નથી ગમતું,
બની કઠપૂતળી રમવું કદી દિલમાં નથી વસતું,
છતાંયે આપનાં ચરણો મહીં પીગળી જવાયું છે,
પીગળતી જીંદગીને ઘાટ દેતા એ સ્મૃતિમાં છે…
કીધા ઉપકાર તે સૌને નગુણો થઈ ભૂલી જાતો,
સર્યો જ્યાં સ્વાર્થ કે તરતજ હું તોડી નાખતો નાતો,
હૃદયના પુષ્પને કીડો થઈને કોરતો’તો હું,
કીડાને કૃષ્ણનો કીધો એ સઘળું મુજ સ્મૃતિમાં છે…