(રાગ – ભાઈ મારે કરવો છે સ્વાધ્યાય)
જીવ જગત જગદીશનો નાતો જેનાથી સમજાય,
ભાઈ એ તો અગિયારસ કહેવાય. . . (૨)
સાચી લગનથી હરિ ચરણોમાં સ્નેહ થકી બેસાય,
એનાં નામે એનાં કામે મનડું રમતું થાય. . . ભાઈ એ તો. . .
જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ને મન એ અગિયાર ગણાય,
એ તો સઘળાં અર્પણ કરતાં પ્રભુજી ખૂબ હરખાય. . . ભાઈ એ તો. . .
શ્વાસે શ્વાસે હરિ છે રમતા જીવન નચવી જાય,
એ ઉપકારો યાદ કરી જે એને કાજ ઘસાય. . . ભાઈ એ તો. . .
શું ખાવાનું શું પીવાનું એ સ્થૂળ વાત જણાય,
શું કરવાનું એ સમજતાં હરિનું દિલ ખુશ થાય. . . ભાઈ એ તો. . .
કર્મયોગ ને ભક્તિ યોગનો સંગમ જો થઈ જાય,
તો તો સાકારિત ભક્તિનું દર્શન સાચું થાય. . . ભાઈ એ તો. . .