Tag Archives: જ્ઞાન

આનંદે નાચતો નિવાસ.

સામાન્ય

ઊર્મિની ઈંટોથી સર્જ્યો આવાસ મેં,

આનંદે નાચતો કીધો નિવાસ મેં.

 

સંતાનોને સંતની મેં દિશા ચીંધી,

સંસ્કાર ઉપવીતની દીક્ષા છે દીધી,

બુદ્ધિની શુદ્ધિનો કીધો પ્રયાસ મેં. . .                      આનંદે. . .

 

પ્રિયવાણી પ્રિયાના મુખને શોભાવતી,

આતિથ્ય પૂજાથી ઘરને દિપાવતી,

સાચા મિત્રો કીધા મનનો શણગાર મેં. . .                આનંદે. . .

 

નિજના પરસેવે લક્ષ્મીજી આરાધીયા,

સાથ સાથ વિષ્ણુના ચરણો પખાળીયા,

વૈભવને માન્યો છે ઈશનો પ્રસાદ મેં. . .                  આનંદે. . .

 

જ્ઞાનની ઉપાસના ને કલ્યાણ ચાહના,

એ રીતે થાતી શિવજીની આરાધના,

મળતું ભોજન માન્યું સાચું મિષ્ટાન્ન મેં. . .              આનંદે. . .

 

સાચા સંતો એતો ઈશ્વરનાં દૂતો,

એવાં સાધુ કેરો સથવારો કીધો,

એવો ગૃહસ્થાશ્રમ તો ધન્ય થઈ ઝૂમે. . .                 આનંદે. . .

=== ૐ ===

વૈશાખ વદ ચૌદશ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૬-૬-૧૯૮૬.

રામ અને શ્યામ (આરતી)

સામાન્ય

જય રાઘવ રામા, પ્રભુ જય માધવ શ્યામા,

પૂર્ણ પ્રગટ પુરુષોત્તમ (૨), શાશ્વત વિરામા. . .                  જય રાઘવ રામા

 

અવધપુરીથી રઘુવીર વનમાં જઈ વસ્યા, – પ્રભુ –

ગ્રામ ત્યજીને મોહન (૨), મથુરામાં વસ્યા. . .                   જય માધવ શ્યામા

 

વાનર રીંછને રામે સ્નેહ ઘણો દીધો, – પ્રભુ –

ગોપ હૃદયનો શ્યામે (૨), ભાવ બહુ પીધો. . .                   જય રાઘવ રામા

 

સંસ્કૃતિના પોષક ધર્મ ધુરા વેહતા, – પ્રભુ –

ભક્તોનાં સંરક્ષક (૨), દાનવ કુળ હણતાં. . .                   જય માધવ શ્યામા

 

યોગેશ્વર શ્રીકૃષણે ગીતામૃત પાયા, – પ્રભુ –

મર્યાદા સંયમના (૨), રામે ગીત ગાયા. . .                        જય રાઘવ રામા

 

જ્ઞાન અને ભક્તિમાં સાવ રહ્યો ઊણો – પ્રભુ –

તમ શરણે આવ્યો છું (૨), ખીલવજો ગુણો. . .                  જય માધવ શ્યામા

 

કીધાના સત્કર્મો સ્વાર્થ મહીં રમતો, – પ્રભુ –

મુજ પાપોને બાળો (૨), થાઉં હરિ ગમતો. . .                    જય રાઘવ રામા

 

નિર્ગુણ બ્રહ્મ ન સમજ્યો તત્વ ન પિછાણ્યું, – પ્રભુ –

મૂર્ત સ્વરૂપ નિહાળી (૨), મુજ હૈયું નાચ્યું. . .                    જય માધવ શ્યામા

    === ૐ ===

શ્રી ગણેશ દેવા.

સામાન્ય

(રાગ – વાણીની દેવી મા શારદા નમન તને…)

 

આદ્યશક્તિ માતા ને પિતા મહાદેવા,

વંદું હું વારંવાર શ્રી ગણેશ દેવા.

 

જ્ઞાન અને કલ્યાણ શિવનું સ્વરૂપ છે,

સમૃદ્ધિ ઐશ્વર્ય ગૌરીનાં રૂપ છે,

એમના સપૂત તમે ધૈર્યશીલ દેવા…            વંદું…

 

વિદ્વાનોનાં પડછાયા સૌને ડરાવે,

તેથી સારા કામો કરવાં ન ફાવે,

આપનાં અભય માટે લાગે છે મેવા…           વંદું…

 

વાસનાના મૂષક ફૂંકી ફૂંકી ખાયે,

દર્દની એ પીડા પાછળથી જણાયે,

અંકુશમાં રાખી સવાર થાવ દેવા…              વંદું…

 

જીવન પ્રસાદ ધરે ઈશ્વરની સામે,

દૈવી બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિને પામે,

કુરૂપ સુરૂપ થાયે સમજાવો દેવા…               વંદું…

 

અંકુશથી પાપોની વૃત્તિ દબાવજો,

પરશુથી દુર્ગુણનાં મસ્તક સંહારજો,

મોદક આનંદ રૂપ દેજો હો દેવા…                 વંદું…

    ===ૐ===

છંદ – ૨

સામાન્ય

રાવણના અત્યાચારોથી તો આખી ધરતી રડતી’તી,

દેવો સઘળા છે કેદ મહીં ને દાનવ સૃષ્ટિ હસતી’તી,

મર્યાદા પુરુષોત્તમ રામે કરદી દ્રષ્ટિ કીધી’તી,

દૂષણની લંકા સળગાવા મશાલ ત્યારે સળગી’તી.

 

દુર્યોધનની પાપાચારી વૃત્તિ જ્યારે મલકી’તી,

મર્યાદાની રેખા જ્યારે દુઃશાસનથી તો તૂટતી’તી,

અભિમન્યુના મૃત્યુથી માનવતા ડૂસકાં ભરતી’તી,

અર્જુનની વીરતાની આગે મશાલ ત્યારે સળગી’તી.

 

અરવલ્લીની ગિરિ કંદરા શૌર્ય ગીતોને ગાતી તી,

ચેતકની ટપ ટપ ટાંપાએ ધરતી થરથર ધ્રુજતી’તી,

પ્રતાપ સામે ટક્કર લઈ દુશ્મનની હિંમત તૂટતીતી,

સ્વાભિમાનની જ્વાળાઓથી મશાલ ત્યારે સળગીતી.

 

ધર્મ ભૂલાયો કર્મ ભૂલાયું મર્મ ભૂલાયો જીવનનો,

ભાવ ઝરણ દિલથી સૂકાયું સ્નેહ બધેથી છે ખોયો,

ફોગટીયા વૃત્તિએ જ્યારે જગમાં માઝા મુકી છે,

જ્ઞાન ભક્તિને કર્મયોગની મશાલ આજે સળગી છે.

        === ૐ ===

છંદ – ૧

સામાન્ય

ઊડે ગુલાલ આજ સંસ્કૃતિને ભાલ આજ,

લાલ લાલ વ્યોમ થકી વરસતું આવે,

સ્વાર્પણનું શોણિત જે ગગને છવાયું તે,

આનંદ ઊર્મિ કેસૂડાં થઈ આવે.

 

સંસ્કૃતિ ને ધર્મ આજ નાચતાં આનંદે,

લાલ લાલ સુરખી તો નાચે છે ગાલે,

ખુશીઓની રાગિણી ઈશને સુણાવતાં,

નાચે છે નાનકડા બાળકશા તાલે.

 

કુમકુમનાં પગલાંએ આવે છે માવડી,

યુગયુગની કાલિમા લુંછાતી આજે,

કર્મહીન માનવનાં મેણાં ફીટાયાં ને,

સ્ત્રીજન શક્તિ કાર્યક્ષેત્ર સાધે છે આજે.

 

મનડાનો મહીસાસુર ચંડમુંડ મારીને,

વાત્સલ્ય ઝરણાં છલકાવે છે આજે,

જ્ઞાન ભક્તિ કર્મ દઈ જનને રમાડતાં,

પાંડુરંગ સ્વાધ્યાયી પીણું પીવડાવે.

    === ૐ ===